શું આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિનું આયોજન (Garba will be organized in Gujarat) કરવા માટે સરકાર છૂટ આપશે? આ વાતને લઈને ગરબા આયોજકો અને લોકોમાં ભારે અસમંજસનો માહોલ છે. જોકે સરકાર (Government) નવરાત્રીના આયોજનની છૂટ આપશે તેવો નાયબ મુખ્યમંત્રીનો સંકેત બે દિવસ પહેલા આવ્યો હતો. ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધન કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર નવરાત્રીના આયોજનની છૂટછાટ આપી શકે છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત માટે નવરાત્રીનો ઉત્સવ ખૂબ મહત્ત્વનો છે. માતાજીના ભક્તો પણ પૂજા અને અર્ચના કરવા માટે નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. ગરબા અને નવરાત્રી એ વિશ્વમાં ગુજરાતની ઓળખ છે. ગુજરાત સરકાર પણ દર વર્ષ વાઇબ્રન્ટ નવરાત્રી (Vibrant Navratri) મહોત્ત્વનું આયોજન કરે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે અમુક ગાઈડલાઈન મુજબ ગરબા રમવાની છૂટ આપી શકાય તેવી શક્યતા છે.

હાલ દેશ કોરનાની ગંભીર મહામારી સામે દેશ લડી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ અને ભારત સરકારની ગાઇડલાઇનની મર્યાદામાં રહીને કેટલા સમય માટે, કેટલા લોકોને અને કેવી રીતે લોકો ગરબા રમી શકે તે માટે સરકાર વિચારણા કરી રહી છે. યોગ્ય સમયે આ અંગેની જાહેરાત કરવામાં આવશે. સરકાર પણ નવરાત્રીનું ધાર્મિક મહત્ત્વ સારી રીતે સમજે છે. આ વાત નિતીન પટેલે જણાવી હતી. ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં? એ અંગે અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ અવઢવ દૂર કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે, જેમાં શહેરોના પ્રોફેશનલ ગરબાને નહીં, પરંતુ ગામડાંની માતાજીની ગરબીઓને જ કેટલાક નિયમો સાથે છૂટછાટ આપે એવી શક્યતા છે. રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરોમાં તો ગરબાને મંજૂરી આપવી ઘણું જોખમી છે, જ્યારે ગામડાંમાં નાની ગરબીઓને કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી શકે કે કેમ એ અંગે વિચારણા ચાલી રહી છે.

બીજી તરફ ગરબા આયોજકો પણ આ વર્ષે રિસ્ક લેવાના મૂડમાં નથી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોના મોટા ગરબા આયોજકોએ સ્પષ્ટ કરી દીધું કે કોરોનાના કારણે તેઓ કોઇ પણ પ્રકારનું રિસ્ક લઇ શકે તેમ નથી. તેમના માટે લોકોની સુરક્ષા જ સૌથી પહેલી પ્રાથમિકતા છે. હજારોની સંખ્યા વગર મોટા ગરબાનું આયોજન શક્ય ન હોવાથી ગરબા સંચાલકો ફાયનાન્સિયલી પણ આયોજનમાં રસ દાખવે તેવું હાલ જણાઈ રહ્યું નથી. સાથેજ ગાઈડલાઈનના પાલન સાથે મોટા ગરબાનું આયોજન કરવું પણ શક્ય નથી. ત્યારે લોકો જ સ્વયં શિસ્ત જાળવી આ વર્ષે ગરબા આયોજનમાં ભાગ ન લે તે જ સમાજના હિતમાં કહી શકાશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.