વિશ્વમાં અલગ અલગ જગ્યાઓએ ત્યાંના લોકો સ્થાનિક રીત રિવાજો મુજબ જીવન વિતાવતા હોય છે અને ક્યાંક તો આપણને નવાઈ લાગે તેવા તહેવારો પણ ઉજવાતા હોય છે. આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને આવા જ એક અજબ ગજબ તહેવાર વિષે જણાવવાના છીએ જે મૃતકોની લાશ સાથે ઉજવવામાં આવે છે. તમને ભલે વિશ્વાસ ન આવે પણ આ હકીકત છે. ઇન્ડોનેશિયાની એક ખાસ જાતિના લોકો આ તહેવારને મનાવે છે જેને સ્થાનિક લોકો માનેને ફેસ્ટિવલના નામથી ઓળખે છે.

માનેને ફેસ્ટિવલની શરૂઆત આજથી લગભગ 100 વર્ષ પહેલા થઇ હતી. આ તહેવારને મનાવવા પાછળ બરપ્પુ ગામના લોકોમાં એક રોચક વાયકા પ્રચલિત છે. આ વાયકા મુજબ સો વર્હસિ પહેલા ગામમાં ટોરાજન જનજાતિનો એક શિકારી જંગલમાં શિકાર માટે ગયો ગતો. પોંન્ગ રુમાસેક નામના આ શિકારીને જંગલમાં એક લાશ મળી, જીર્ણ અવસ્થામાં લાશ જોઈને પોંન્ગ રુમાસેક ત્યાં અટકી ગયો અને તેણે લાશને પોતાના કપડાં પહેરાવી તેનો અંતિમ સંસ્કાર કર્યો.

આ ઘટના બાદ પોંન્ગ રુમાસેકના જીવનમાં ધરમૂળથી ફેરફાર થઇ ગયો અને તેની ગરીબી પણ દૂર થઇ. આ બનાવ પછી ટોરાજન જનજાતિના લોકોમાં પણ પોતાના પૂર્વજોની લાશને શણઘાર કરવાની પ્રથા શરુ થઇ ગઈ. માન્યતા મુજબ મૃતક સ્વજનોની લાશની સંભાળ રાખવા પર પૂર્વજોની આત્મા તેઓને આશીર્વાદ આપે છે.

આ ફેસ્ટવલ મનાવવાની શરૂઆત કોઈના મૃત્યુ બાદ જ થઇ જાય છે. સ્વજનના મૃત્યુ થઇ ગયા બાદ તેને એક જ દિવસની અંદર દફનાવી દેવાના બદલે તેને કેટલાક દિવસો સુધી બહાર રાખી ઉત્સવ મનાવાય છે. આ બધું મૃત સ્વજનની ખુશી માટે કરવામાં આવે છે અને તેને આગળની (એટલે કે મૃત્યુ બાદની) યાત્રા માટે તૈયાર કરવામાં આવે છે. આ યાત્રાને સ્થાનિક ભાષામાં પુયા કહેવામાં આવે છે. આ ફેસ્ટિવલ દરમિયાન મૃતકના પરિવારજનો ભેંસ અને બળદના શીંગડાઓ વડે ઘરને સજાવે પણ છે અને તેના પાછળ એવી માન્યતા છે કે જેના ઘર પર આ રીતે શીંગડાઓ સજાવવામાં આવ્યા હોય તે ઘરના મૃતકને આગળની યાત્રામાં એટલું જ સન્માન મળશે.

બાદમાં લોકો મૃતકને જમીનમાં દફનાવવાના બદલે તેને લાકડાના તાબૂતમાં બંધ કરી ગુફાઓમાં મૂકી આવે છે. જો મૃતક નવજાત શિશુ કે 10 વર્ષથી નાનો બાળક હોય તો તેને વૃક્ષની તિરાડોમાં મૂકી દેવામાં આવે છે. મૃતકના શરીરને અનેક દિવસો સુધી સુરક્ષિત રાખવા માટે તેને અલગ અલગ પ્રકારના કપડાંઓમાં લપેટવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ તેને ફેશનેબલ વસ્તુઓ પણ પહેરાવવામાં આવે છે.

આ પ્રકરણ શણઘાર કર્યા બાદ આખરે મૃતકને લાકડાના તાબૂતમાં બંધ કરી પહાડોની ગુફાઓમાં રાખી દેવામાં આવે છે અને તેની સાથે લાકડાનું એક પૂતળું પણ રક્ષણ માટે રાખવામાં આવે છે જેને તાઉ તાઉ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે તાબૂતમાં રખાયેલ વ્યક્તિ અસલમાં મૃત્યુ નથી પામ્યો પરંતુ તે બીમાર છે અને તેને રક્ષણની જરૂર હોવાથી તાઉ તાઉ તેનું રક્ષણ કરે છે.

વળી, દર ત્રણ વર્ષે તાબૂતમાં રખાયેલા મૃતકોની લાશને ફરી બહાર કાઢવામાં આવે છે અને તેને ફરીથી નવા કપડાં પહેરાવી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહિ લોકો આ લાશો સાથે બેસીને જમવાનું પણ જામે છે અને લાશના જુના કપડાં પરિવારજનો પહેરે પણ છે. અનેક વર્ષો બાદ જયારે લાશમાં માત્ર હાડકાઓ જ વધે છે ત્યારે એ લાશને દફનાવી દેવામાં આવે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.