માઢિયા રોડ પર આજે સવારે 10.30 કલાક વાગ્યાના સમયગાળા દરમિયાન માલેરી નદીના નાળા પાસેથી પસાર થયેલા માલધારી યુવકને કારે અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
કુંભારવાડા બાનુબેનની વાડીમાં રહેતા અને હાલ વલભીપુરના મેવાસા ગામે પરિવાર સાથે રહેતા પશુપાલક રણછોડભાઈ રેવાભાઈ આલગોતર (ઉ.વ.30)એ ભાવનગરની અલગ-અલગ સોસાયટીઓમાં દુધ આપી સવારના 10.30 કલાક આસપાસ પોતાના ગામ મેવાસા પરત જઈ રહ્યાં હતા ત્યારે માલેરી નદીના નાળા પાસે મોમાઈ મંદિર નજીક એમએચ-14-એચજી-1377 નંબરની એક કારે સામેથી આવી અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારઅર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બપોરના 2.30 કલાકના સમયગાળા દરમિયાન તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જ્યારે અકસ્માત સર્જાતા કાર પણ નાળામાં ખાબકી હતી જ્યારે આ કાર ચાલક ત્યાંથી ફરાર બન્યો હતો. મળતી વિગતો પ્રમાણે મૃતક રણછોડભાઈને નાના-નાના ત્રણ સંતાનો હતા. જેમાં સૌથી મોટો 7 વર્ષનો પુત્ર રામ, 5 વર્ષની દિકરી આરોહી અને સૌથી નાનો 4 વર્ષનો દિકરો વિવેક હતો. આ ત્રણેય બાળકો હજુ સમજણાં થાય તે પહેલાં જ પિતાની છત્રછાંયા ગુમાવી હતી.
મૃતક રણછોડભાઈ તેમની માતા તેમજ તેમના અને તેના નાનાભાઈ કનુભાઈના પરિવાર સાથે કુંભારવાડામાં જ રહે છે પરંતુ ચોમાસાના ચાર મહિના ઘાસચારાના પ્રશ્નોને લીધે તેઓ વલભીપુરના મેવાસા ગામે રહેવા જતાં રહે છે અને ત્યાંથી જ અહીં તેમના રેગ્યુલર ગ્રાહકોને દુઘ આપવા આવતા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.