આજે Congressની વર્કિંગ કમિટીની મહત્વની બેઠક મળવા જય રહી છે ત્યારે સૌની નજર સોનિયા ગાંધીના નિર્ણય પર ટકેલી છે. Congress અધ્યક્ષ પદેથી સોનિયા ગાંધી રાજીનામુ આપશે, જેને પગલે આ પદ પર કોઇ અન્ય નેતાની પસંદગી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પક્ષની હાર બાદ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધુ હતું. જે બાદ સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ નિમવવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધી છોડી શકે છે Congressનું અધ્યક્ષ પદ
જોકે તેઓ એક વર્ષ માટે જ આ પદ પર હતા જેનો સમયગાળો પુરો થતા હવે સોનિયા ગાંધી આ પદને છોડશે તેવા અહેવાલો છે. સોનિયા ગાંધીના રાજીનામા બાદ આ પદ પર કોંગ્રેસના અન્ય કોઇ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી. સોમવારે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે.
આજે વર્કિંગ કમિટીની ખાસ બેઠક
Congress પાર્ટીમાં મોટા ફેરબદલની માગણી સાથે આજે Congress વર્કિગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પહેલા પાર્ટીના સીડબ્લ્યુસી સભ્યો, પાર્ટી સાંસદ અને પૂર્વ પ્રધાનો સહિત પાર્ટીના વરિષ્ઠ 23 નેતાઓએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. જેમા કોંગ્રેસમાં ફેરફારની માગણી કરવામાં આવી છે. ત્યારે આ પત્રનો જવાબ આપતા સોનિયા ગાંધીએ કહ્યું છે કે તમામ નેતાઓએ સાથે મળીને એક નવા પ્રમુખની શોધ કરવી જોઇએ. કારણ કે તે જવાબદારીઓને પૂર્ણ કરવા ઇચ્છતા નથી.

સોનિયા ગાંધીને કોંગી નેતાઓનો પત્ર
માનવામાં આવી રહ્યુ છે કે મીટિંગના કેન્દ્રમાં આ બાબત પણ રહેશે. આ પત્ર બે સપ્તાહ પહેલા જ Congressના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યો છે. પત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે પાર્ટીને સંચાલિત કરવા માટે પ્રભાવી કેન્દ્રીય નેતૃત્વની સાથે-સાથે એક ક્લિયર કટ મેકેનિઝ્મ હોવુ જોઈએ. જેને સક્રિય થવું જોઇએ અને તેની અસર જમીન પર દેખાવી જોઈએ.
પ્રભાવી સામૂહિક પ્રણાલી સ્થાપિત કરવાની માગ
પત્રમાં CWCમાં ફરી ચૂંટણી કરાવવા માગ કરવામાં આવી છે. આ માટે એક પ્રભાવી સામૂહિક પ્રણાલી સ્થાપિત કરવાની માગ કરાઇ છે. આ પત્ર પર ગુલાબ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, જિતિન પ્રસાદ, મિલિંદ દેવડા, મનીષ તિવારી, રાજ બબ્બર, અરવિંદર સિંહ લવલી, સંદીપ દીક્ષિત સહિત કોંગ્રેસના અન્ય યુવા બ્રિગેડે હસ્તાક્ષર કર્યા છે. તો બીજી તરફ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને અન્ય નેતાઓએ પત્રની વાત ફગાવી છે.
પક્ષના સંગઠનોમાં મોટા ફેરફાર કરવા અંગે ચર્ચા
જે બેઠક યોજાવા જઇ રહી છે તેમાં પક્ષના સંગઠનોમાં મોટા ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે સંગઠનમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે ત્યારે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે ગાંધી પરિવારને જે પડકારો પક્ષમાં આપવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કર્યો હતો.
એનડીએ સામે બધા વિપક્ષોએ એક થવાની જરૂર
આ પહેલા Congressના નેતા સંજય નિરૂપમ પણ ગાંધી પરિવારના નેતૃત્વ પર જે શંકાઓ ઉઠી રહી છે તે અંગે વાંધો ઉઠાવ્યો હતો અને હવે તેમાં અમરિંદરસિંહ પણ જોડાયા છે. તેમણે કહ્યું હતું કે આ સમય ગાંધી પરિવારના નેતૃત્વ પર શંકાઓનો નથી, હાલ એનડીએ સામે બધા વિપક્ષોએ એક થવાની જરૂર છે. એનડીએએ દેશના લોકતંત્રનો નાશ વાળ્યો છે. એવામાં તે મામલે વધુ ધ્યાન આપવાની જરૂર છે. બીજી તરફ સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ પ્રમુખ પદ માટે નવા નેતાની શોધ શરૂ કરી દે.
પૂર્ણકાલીન કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કોંગી નેતાઓની માંગ
એવા પણ અહેવાલો છે કે Congressના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પૂર્ણકાલિક એટલે કે કાયમી અધ્યક્ષ પદ માટે કોઇને પસંદ કરવામાં આવે તેવી માગણી કરી છે. બીજી તરફ કોંગ્રેસમાં બે ભાગલા જોવા મળી રહ્યા છે, અનેક નેતાઓ રાહુલ ગાંધીને પ્રમુખ પદ સોપવાની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક નેતાઓ એવા પણ છે કે જે સામુહિક નેતૃત્વની માગણી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના નામ પર ચર્ચા
એવા અહેવાલો છે કે સોમવારે રાહુલ ગાંધીને ફરી પક્ષના પ્રમુખ બનાવવા માટે વર્કિંગ કમિટીના નેતાઓ દબાણ કરશે. જોકે રાહુલ ગાંધીએ આ પદ સંભાળવાની ના પાડી દીધી છે અને કોઇ બિન કોંગ્રેસીને આ પદ સોપવામાં આવે તેમ કહ્યું છે. જેનું પ્રિયંકા ગાંધીએ પણ સમર્થન કર્યું છે. સોમવારે સવારે વીડિયો કોન્ફરન્સથી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઇ રહી છે.
અધ્યક્ષ પદ બેઠકનો મહત્વનો મુદ્દો
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારની આ બેઠકનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો પ્રમુખ પદનો રહેશે. આ સ્થિતિ વચ્ચે કોંગ્રેસના એક વરીષ્ઠ નેતાએ મીડિયાને કહ્યું હતું કે હું મારા તરફથી રાહુલ ગાંધીનું નામ આ પદ માટે રજુ કરીશ કેમ કે કોંગ્રેસના કાર્યકર્તાઓથી લઇને અનેક નેતાઓની ઇચ્છા છે કે રાહુલ ગાંધી આ પદને સંભાળે.
અન્ય નેતાના નામ અંગે પણ થઇ શકે છે ચર્ચા
જો રાહુલ ગાંધી તૈયાર ન થાય તો કોંગ્રેસના નેતાઓ કોઇ અન્ય નેતાને કાયમી માટે પ્રમુખ પદ સોપવાની માગણી કરી શકે છે તેમ પણ કોંગ્રેસના આ નેતાએ કહ્યું છે. હાલ સૌની નજર સોમવારે મળનારી બેઠક પર છે જેમાં મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.