– 1965 શત્રુ સંપત્તિને લગતો ખાસ કાયદો ઘડાયો હતો
નવી દિલ્હી તા.15 સપ્ટેંબર 2020, મંગળવાર
દેશના ભાગલા ટાણે પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને કોરોનાના સંકટ સામે લડવા માટે એક લાખ કરોડ ઊભા કરી શકાય એવી સલાહ વડા પ્રધાનના આર્થિક સલાહકારી ટુકડીના એેક સભ્યે કરી હતી.
આર્થિક સલાહકાર ટુકડીના પાર્ટટાઇમ સભ્ય નીલેશ શાહે કહ્યું હતું કે ભાગલા ટાણે દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગયેલા લોકોની સંપત્તિ વેચીને એક લાખ કરોડ ઊભા કરી શકાય તેમ છે. આ રકમ દ્વારા કોરોના સંકટ સામે લડવા ઉપરાંત અર્થતંત્રને મોટો ટેકો આપી શકાય એમ છે.
વાસ્તવમાં 1965માં ભારત અને પાકિસ્તાન બંને દેશોએ આ પ્રકારની સંપત્તિને શત્રુની સંપત્તિ ગણીને એના નિકાલ માટે કાયદો ઘડ્યો હતો. પાકિસ્તાને તરત એનો અમલ પણ કર્યો હતો અને ભારત આવી ગયેલા તમામ લોકોની સંપત્તિ 1971માં વેચીને રોકડી કરી લીધી હતી. ભારતે હજુ એવું પગલું ભર્યું નથી. એ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતાં પચાસ વરસ પાછળ છે.
એક વેબિનારને સંબોધતાં નીલેશ શાહે કહ્યું હતું કે આપે શત્રુ સંપત્તિ ધારા હેઠળ પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપત્તિ વેચીને મૂડી ઊભી કરવી જોઇએ. ભવિષ્યમાં એ મૂડી વિકાસકાર્યો કે કોરોના સંકટ સામે લડવા કામ લાગશે. નીલેશ શાહ કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજર અને વહીવટી અધિકારી પણ છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના એ પાર્ટ ટાઇમ સભ્ય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.